તાજેતરમાં ભારતના પાડોશી રાજ્ય બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન બાદ સત્તા પલટા સાથે ફાટી નીકળેલા રમખાણો માં અસંખ્ય નિર્દોષ હિન્દુઓ ઉપર દમન ગુજારાયુ છે. ભોગ બનતા હિન્દુઓ ના બચાવ માટે ભારત સરકારને કાર્યવાહી કરવા બારડોલીમાં આજરોજ સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહ પ્રધાન વગેરેને સંબોધતું આવેદન અપાયું હતું.બારડોલી ના સ્વરાજ આશ્રમ મુકામે એકત્રિત થયેલી જનમેદની ને સંબોધન કર્યા બાદ ભારત સરકારના નારી ગૌરવ પુરસ્કાર વિજેતા નિરંજનાબેન ક્લાર્થી ના હસ્તે ઝંડો ફરકાવી મૌન રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. બારડોલી ના રાજમાર્ગ ઉપર થઈ રેલી બારડોલી તાલુકા સેવા સદન મુકામે આવેલ પ્રાંત, ડેપ્યુટી કલેકટર કચેરી મુકામે પહોંચી હતી. બાંગ્લાદેશમાં હાલમાં હિન્દુ મંદિરો ઉપર હુમલાઓ, હિન્દુ નાગરિકો ઉપર દમન, હિન્દુઓની મિલકતને નુકસાન અને આગ લગાડવાની ઘટનાઓ તથા હિન્દુ દીકરીઓ ઉપર અત્યાચાર, બળાત્કાર જેવા દુષ્કર્મ સાથે હત્યાઓ ના મામલાઓ ની ટીકા કરાઈ હતી.હિન્દુ સમાજ વસુદૈવ કુટુંબકમ ની ભાવના સાથે સનાતન ધર્મની સંસ્કૃતિના વિચારોને અપનાવી હિન્દુઓ દુનિયાના અનેક દેશોમાં વસ્યા છે. અને ત્યાંના રાષ્ટ્રપ્રવાહ માં ભળ્યા છે. બાંગ્લાદેશમાં ઇરાદા પૂર્વક હિન્દુઓની કનડગત મામલે હાલમાં કોઈ સહારો કે મદદ નથી. આ સંજોગોમાં ભારત સરકાર નક્કર પગલા ભરી બાંગ્લાદેશમાં વસવાટ કરતા હિન્દુઓને સહાયરૂપ થઈ યાતના માંથી બહાર કાઢવા જરૂરી કાર્યવાહી કરે અને દુનિયાના કોઈપણ દેશમાં આવા કૃત્યો ના થાય તથા કટ્ટરવાદી વિચારધારા ધરાવતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી બચાવ કાર્ય માટે નક્કર યોજના તૈયાર કરવા આવેદનપત્ર અપાયું હતું.