ઉપરવાસમાં સતત વરસાદના પગલે મીંઢોળા નદીના જળ સ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે બારડોલીના રામજી મંદિર નજીક આવેલ પુલને અડીને પાણી વહેતુ થતા તકેદારીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવ્યો છે. જ્યારે નદી કિનારે આવેલા અનેક ઘરોમાં પણ પાણી ફરી વળતા સામાન્ય ગરીબ પરિવારોએ ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.તાપી જિલ્લામાં આવેલ ડોસવાડા ડેમમાં સતત વરસાદના પગલે પાણીની આવકમાં વધારો થયો છે. ત્યારે ડોસવાડાથી વહેતી મીંઢોળા નદી પણ પ્રભાવિત થઈ બન્ને કાંઠે વહેતી થઈ છે. બારડોલીથી પસાર થતી મીંઢોળા નદીએ પણ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી કાંઠે આવેલા અનેક ઘરોમાં કમરડૂબ પાણી ભરાયા હતા. બારડોલીના રામજી મંદિર નજીકથી હાઇવેને જોડતા પુલને અડીને નદીના પાણી વહેતા થતા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો.
જેને લઈ વાહન ચાલકોએ 3 કી.મી સુધીનો ચકરાવો કરીને હાઇવે સુધી જવાની નોબત આવી છે. બીજી તરફ મીંઢોળા નદીના કાંઠે આવેલ રામજી મંદિરની પાછળનો વિસ્તાર, તલાવડી તેમજ કોર્ટની સામે ખાડામાં અનેક ઘરોમાં કમરડૂબ પાણી ફરી વળ્યાં છે. મીંઢોળા નદીનું જળસ્તર અચાનક વધી અને લોકોના ઘરોમાં પાણી પ્રવેશતા સામાન્ય ગરીબ પરિવારોના ઘરમાં મુકેલી ઘરવખરી પાણીમાં ભીંજાઈ જતા ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠે આવેલા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે. અને નદીના વહેણ નજીક ન જવા માટે જણાવાયું છે.