વિભાગીય નાયબ નિરીક્ષક કચેરી-સુરતના વિભાગીય નાયબ નિરીક્ષકશ્રી એન.કે. પઢેર ૩૪ વર્ષની સુદીર્ઘ ફરજ બજાવી વય નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો હતો. સાથે કચેરીના સેવક સી.બી.પટેલ પણ વય નિવૃત્ત થતા તેઓને ભાવભીનું વિદાયમાન અપાયું હતું. સમારોહમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી. પ્રજાપતિએ વિશેષ ઉપસ્થિત રહીને શ્રી પઢેરની કામગીરીને બિરદાવી હતી.
શ્રી પઢેરે ૩૪ વર્ષ અને ૬ મહિનાની ફરજ દરમિયાન વર્ષ ૧૯૯૦માં પેટા તિજોરી આધિકારી તરીકે રાજુલા, જિ. અમરેલીથી સેવાની શરૂઆત કરી હતી. ૧૯૯૯માં હિસાબી અધિકારી વર્ગ-૨માં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ-ગોધરા, ૨૦૦૮માં વર્ગ ૧ એ.ઇ.-અમરેલી અને ૨૦૨૨માં વિભાગીય નાયબ નિરીક્ષક-સુરત ખાતે સેવામાં જોડાયા હતા. સુરતમાં ફરજના ખૂબ જ થોડા સમયમાં નિખાલસ અને સરળ સ્વભાવના કારણે તેઓ તમામ અધિકારીઓ અને કર્મચારીઓના પ્રિય બન્યા હતા. વિદાય સમારોહમાં અધિકારી- કર્મચારીઓએ ઉપસ્થિત રહી સ્વસ્થ અને નિરામય નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.