નર્મદા જિલ્લાના સાગબારા નજીકથી ગતરોજ સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ પકડાયું હતું. સમગ્ર કૌભાંડ પાછળ મુખ્ય સૂત્રધાર ભાજપ આગેવાન મનીષ શાહ હોવાનું સામે આવ્યું હતું. મનીષ શાહ સુરત જિલ્લા ભાજપ યુવા મોરચાનો મહામંત્રી હોય જિલ્લા ભાજપ પ્રમુખે મનીષ શાહને તાત્કાલિક પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરતા સુરત જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
નર્મદા જિલ્લાના સાગબારા નજીક થી સાગબારા મામલતદાર તેમજ પુરવઠા વિભાગે ગતરોજ રેડ કરી હતી. સસ્તા અનાજની દુકાનમાં પહોંચાડવાનો સરકારી અનાજનો જથ્થો ગેરકાયદે બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. સાગબારામાં અરિહંત એગ્રો સેલ્સ નામે દોર સ્ટેપ કોન્ટ્રાક્ટ ચાલે છે. અને સાગબારામાં બી.એસ.ડી કોન્ટ્રાક્ટર સરકારી અનાજનો જથ્થો ખાનગી ગોડાઉનમાં ખાલી કરી સરકારે બાલદાનમાં પલટાવી દેતો હતો. ફરી તેમાં જ અનાજનો જથ્થો ભરી દેતો હોવાનું એક કૌભાંડ સામે આવ્યું હતું. સાગબારાના પાંચ પીપળી રોડ નજીક આવેલ એક ખાનગી ગોડાઉન ઉપર આ સરકારી અનાજ જતા આખું રેકેટ સામે આવ્યું હતું. જોકે મુખ્ય સૂત્રધાર સુરત જિલ્લા ભાજપનો આગેવાન મનીષ શાહ હોવાનું સામે આવ્યું હતું. મનીષ શાહ પોતે અરિહંત એગ્રો સેલ્સનો માલિક છે. અને જે પોતે જે તે વાહનો ઉપર ગુજરાત સરકારનું અનાજ લઈ જવાનું બોર્ડ મારવાનું હોય એ બોર્ડ માર્યું ના હતું. તેમજ જી.પી.એસ બંધ કરીને અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાનું કૌભાંડ ચલાવતો હતો. મનીષ શાહ પોતે સુરત જિલ્લા ભાજપ યુવા મોરચાનો મહામંત્રી પણ હોય જિલ્લા ભાજપ પણ હરકતમાં આવ્યું હતું. અને મનીષ શાહને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે આદેશ પણ કર્યો હતો.