બારડોલી ની શબરીધામ સોસાયટીમાં માતા પિતા સાથે રહેતો સગીર વય નો વિદ્યાર્થી ઘરેથી નીકળ્યા બાદ મોડી રાત સુધી ઘરે પરત ન આવતા બારડોલી પોલીસ મથકે અપહરણ કરાયું હોવાની બાબતની ફરિયાદ દાખલ થઈ હતી.બારડોલી ને શબરીધામ સોસાયટીમાં રહેતો માત્ર ૧૪.૬ વર્ષનો સગીર બાળક માતા પિતા સાથે રહી ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો. બે દિવસ પહેલા તારીખ 20મી એ તેના પિતા સુરત રહેતી તેમની પરણીત દીકરી ના ઘરે ગયા હતા. બપોરના સમયે માતા ઘરમાં સૂતી હતી. તેવા સમયે તેમનો સગીર પુત્ર પોતાની સાઇકલ લઇ ઘરના દરવાજાને આંકડો મારી કશું પણ કહ્યા વગર બહાર ગયો હતો. રાતના મોડે સુધી તે પરત ના આવતા પોતાના પતિને જાણ કરી હતી. આખી રાત શોધખોળ દરમિયાન બારડોલી સુગર ફેક્ટરીના ગેટ નંબર ચાર નજીકથી તેની સાયકલ મળી આવી હતી. વિવિધ વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ચકાસતા સગીર બાળક બારડોલી સુગર સામેની રેલવે ફાટક ક્રોસ કરી અલંકાર ટોકીઝ તરફ જતો જોવા મળ્યો હતો. સાંજના સમયે સુગર ફેક્ટરી તરફ પાછો આવતો જોવા મળ્યો હતો. ત્યારબાદ વધુ તપાસમાં અન્ય કોઈ સીસીટીવી ફૂટેજ ન મળતા તેના પિતાએ બારડોલી પોલીસ મથકે પોતાના ગુમ થયેલા સગીર પુત્ર નું કોઈ અજાણ્યા ઇસમે અપરણ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી ફરિયાદ નોંધાવી હતી. સગીર બાળક ગુમ થવાની ઘટનાએ અનેક અટકળો સાથે ચકચાર મચાવી હતી.