સામાજીક વનીકરણ વિભાગ, સુરત દ્વારા વૃક્ષોનું વાવેતર ઉછેર વધે એવા આશય સાથે રોપા વિતરણ માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં વિવિધ ૪૫ જેટલી નર્સરીઓમાં મુખ્યત્વે નિલગીરી, બંગાળી બાવળ, સાગ, લીમડા, શરૂ, ઔષધીય, ફળાઉ, તુલસી, ફુલછોડ વગેરે જાતના રોપા મળી કુલ ૩૧.૯૫ લાખ રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. જેનુ વિતરણ નર્સરીઓ પરથી ચાલુ છે.આ વર્ષે સુરત સામાજીક વનીકરણ વિભાગ દ્વારા સુરત જીલ્લામાં કુલ ૯ કવચ વન બનાવવામાં આવી રહ્યા છે. બારડોલી રેંજ ખાતે ૧ પવિત્ર ઉપવન બનાવવામાં આવી રહ્યું છે. તેમજ સુરત જીલ્લામાં ૫ વનકુટિર બનાવવામાં આવી રહી છે. જિલ્લામાં રસ્તા, નહેરની બાજુ, ગામની ગૌચર જમીનમાં તથા ખેડુતોની માલીકીની જમીનમાં, શેઢા પાળે, વગેરે મળી કુલ ૧૧૬૪ હેકટરમાં ૮.૪૩ લાખ રોપાઓનુ વાવેતર પ્રગતિમાં છે.વન વિભાગ દ્વારા હરિત વન પથ, પંચરત્ન ગ્રામવાટિકા, અમૃત સરોવર જેવી નવી યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે.