કામરેજ ખાતે વનીકરણ વિભાગ,સુરત દ્વારા ‘એક પેડ મા કે નામ’ અભિયાનની થીમ સાથે ૭૫મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. મંત્રી અને મહાનુભાવોએ વિવિધ ગામોમાં વૃક્ષ-રોપા વિતરણ માટે વૃક્ષ રથને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.કામરેજના શ્રી ભારતીય વિદ્યામંડળ સંચાલિત દલપતરામા ભવન ખાતે આયોજિત વન મહોત્સવ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ મા કે નામ’ દેશવ્યાપી અભિયાન શરૂ કરી દેશમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવાનું આહવાન કર્યું છે. દુનિયામાં ‘માતૃત્વ’, મમતા અને વાત્સલ્ય સૌથી પવિત્ર હોય છે, ત્યારે માતા પુત્રના પવિત્ર સંબંધ નિભાવવા ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ ગુજરાતમાં સાડા દસ કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં મેઘમહેર રહી છે. ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવા અનવ વરસાદની ખેંચી લાવવા વૃક્ષો કારગત સાબિત થશે. જન્મથી લઈને મૃત્યુ સુધી લાકડાનો ઉપયોગ અનિવાર્ય છે. હવે આપણે સમાજમાં નવો ચીલો ચિતરીએ કે દરેક નાગરિકે પોતાના જન્મ દિવસે એક વૃક્ષ વાવીને તેના જતન માટે સંકલ્પબદ્ધ બને.મંત્રીએ સૌ નાગરિકોને ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં જોડાઈ જનભાગીદારીથી રાજ્યને હરિયાળુ, સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું.આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક ડો. કે. શશીકુમારે તાપી નદીના કિનારે વસેલા સુરત સહિત જિલ્લામાં સર્વત્ર વૃક્ષો વાવીને તેનું જતન કરવાનો અનુરોધ કરતા જણાવ્યું કે, પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે ‘પ્લાસ્ટિક મુક્ત’ રાજ્ય અને દેશનું નિર્માણ જરૂરી છે. રોજિંદા જીવનમાં કાપડની બેગનો વધુમાં વધુ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. મિશન લાઈફ અભિયાન અંતગર્ત પાણીનો દૂરૂપયોગ ન કરવા જણાવી છેલ્લાં પાંચ વર્ષમાં સુરત જિલ્લામાં ૨૦ લાખ વૃક્ષો વધ્યા છે, તે આવનાર સમયમાં હરિત ક્રાંતિ લાવવામાં મહત્વનો પરિબળ બની રહેશે એમ ઉમેર્યું હતું.આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’ હાજર સૌએ સાંભળી હતી. તેમજ શાળાની બાળાઓએ ‘વૃક્ષની વેદના’ વિશેષ સંદેશા સાથેની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. વનવિભાગ દ્વારા હરસિદ્ધિ વનની સુંદરતા પ્રસ્તુત કરતી દસ્તાવેજી ફિલ્મ હાજર સૌએ નિહાળી હતી. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું તેમજ વિશેષ સેવા બજાવનારને પ્રશંસાપત્ર એનાયત કરાયા હતા. SRP કેમ્પ વાવ ખાતે મંત્રીશ્રી, મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ વેળાએ જિલ્લાની રેન્જોમાં આવતા DCP, SCP યોજના હેઠળના લાભાર્થીઓને કુલ રૂ. ૪ લાખની સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું . શાળાન બાળકોએ વૃક્ષના મહત્વ વિષય પર રસપ્રદ નાટક રજૂ કર્યું હતું.આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી (સામાજીક વનીકરણ) આનંદ કુમાર, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, તા.પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન રાઠોડ, શાસક પક્ષ નેતા રમેશભાઈ શિંગાળા, પ્રાંત અધિકારીશ્રી પીપળીયા, ફોરેસ્ટ અધિકારીઓ, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ સહિત ખેડૂતો, ગ્રામજનો, વૃક્ષપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.