ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની અધ્યક્ષતામાં તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદદેવ ગીરીજી મહારાજ, શ્રીલંકાના સાંસ્કૃતિક વિભાગના મંત્રી વિદુર વિક્રમનાયકે, ભૂતાનના ગૃહમંત્રી ત્શેરિંગ, નેપાળના પ્રવાસન મંત્રી બદ્રી પ્રસાદ પાંડે ઉપરાંત દેશ-વિદેશથી પધારેલ બૌદ્ધ ધર્મના વિદ્વાનો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત 8મી ધર્મ-ધમ્મા ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ આ અવસરે સર્વે મહાનુભાવોને આધ્યાત્મ અને ઐતિહાસિકતાની પૌરાણિક ભૂમિ ગુજરાતમાં આવકારતાં જણાવ્યું હતું કે, બૌદ્ધ સ્તૂપ અને ગુફાઓ ધરાવતી આ ધરતી ધર્મ અને ધમ્મનો સંગમ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરમાં પ્રાચીન સમયથી બૌદ્ધ ધર્મની ઉપસ્થિતિ અંગે સૌને માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીએ આ કોન્ફરન્સ ધર્મ અને ધમ્મ સાથે જોડાયેલ દરેક દેશની એકતાને મજબૂતી અને વિકાસને તેજ ગતિ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે માનનીય ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીના બુદ્ધ જયંતી પાર્ક ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યે લોકજાગૃતિ કેળવવાના ઉમદા આશયથી એક પેડ માઁ કે નામના અભિયાનની શરૂઆત કરાવી હતી.