બારડોલીની કોર્ટ નજીક હાઈવેને જોડતા ત્રણ રસ્તા ઉપર બનાવવામાં આવેલ ત્રિકોણીય સર્કલ જોખમી સાબિત થઈ રહ્યા છે. છેલ્લા ૧૫ દિવસમાં બે કારો ત્રિકોણીય સર્કલ પર ચડી જતા કારોમાં ભારે નુકશાની થવા પામી હતી.ધુલિયા ચાર રસ્તાથી સુરતી સર્કલ તરફ જતા માર્ગ ઉપર કોર્ટ નજીક ત્રણ રસ્તા આવેલા છે. ત્રીજો ત્રણ રસ્તાથી કડોદ માંડવીને જોડતા અંતરિયાળ માર્ગ ઉપર કોર્ટ નજીક થોડા સમય પહેલાજ માર્ગ મકાન વિભાગ દ્વારા ત્રિકોણીય સર્કલ બનાવવામાં આવ્યું હતું. નિયમ પ્રમાણે સર્કલના ૧૦૦ મીટર પહેલા દિશા સૂચક બોર્ડ લગાવવાનું હોય છે. અને સર્કલ ઉપર પણ રિફલેક્ટર લગાવવાનું હોય છે. જે નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. થોડા દિવસ પહેલાજ માંડવીનું એક પરિવાર ક્રેટા કારમાં વ્યારા કામ અર્થે ગયું હતું. વ્યારાથી માંડવી પરત ફરતા સમયે કારના ચાલકને આ ત્રિકોણીય સર્કલ નજરે ન પડતા કાર ધડાકાભેર સર્કલ ઉપર ચડી ગઈ હતી. કારમાં ભારે નુકસાની સાથે ક્રેઇનની મદદ થી કાર બહાર કાઢવાની નોબત આવી હતી. આજે ફરી તેજ પ્રમાણે એક ટાટા કંપનીની ઈન્ડિગો કાર નંબર GJ – 21 – M – 8886 હાઇવે પરથી કડોદ રોડ તરફ વળતા સમયે ધડાકાભેર સર્કલ ઉપર ચડી જતા કારમાં સવાર લોકોનો જીવ તાળવે ચોટયો હતો. ત્યાંથી પસાર થતા રાહદારીઓએ ઉભા રહી ક્રેનની મદદ થી કારને બહાર કાઢી હતી. આ બંને કાર તો ધોળે દહાડે સર્કલ માલુમ ન પડતા સર્કલ ઉપર ચડી ગઈ હતી. રાત્રીના અંધારામાં આ સ્થળ ઉપર કોઈ લાઈટ ન હોવાથી અનેક અકસ્માતો આ સર્કલ નજીક થતા હોય છે. ત્યારે લોકોની સુવિધા માટે બનાવેલ ત્રિકોણીય સર્કલ આજે લોકો માટે જોખમી બન્યું છે. ત્યારે આ સર્કલ દૂર કરી અથવા તો નાનું કરી વાહન ચાલકોના માથેથી આ જોખમ દૂર કરવામાં આવે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે.